Posted in Short Stories

હું વાંચક કેવી રીતે બન્યો…?

આ વાત છે દસમા ધોરણની. હું અને મારા દાદા બન્ને ખાસ પાક્કા મિત્રો. પહેલેથી જ. મારા દાદા બાકી એકદમ બિંન્દાસ માણસ. દિલમાં હોય એ જીભ પર હોય. કોઈ વ્યક્તિ કે ગેસ્ટ ઘરે આવે તો એમની જોડે પતે ના એટલી વાતો હોય. અને ધાર્મિક વિષય પર તો અખૂટ દ્રષ્ટાંતો તૈયાર જ પડ્યા હોય. બસ એને લગતી વાત આવે એટલી જ વાર.

દરરોજ હું સ્કૂલ કે ટ્યુસનથી જતો-આવતો હોવ ત્યારે હું નિરીક્ષણ કરું કે એ કશુંક વાંચતાં જ હોય. મેં એકવાર પૂછ્યું એમને કે : દાદા, તમે આટલું બધુ શું વાંચ વાંચ કરો છો….! કંટાળો નથી આવતો આટલું બધું વાંચતાં…?

દાદા સહેજ હસીને બોલ્યા : ‘કંટાળો તો બેહ્ય બેહ્ય આવ… વોચત તો મજા આવ… ટેમ જાય ક.’

‘ ટાઈમ જાય એ બરોબર…દાદા, પણ આટલું બધું વાંચતાં મળે શું…? ભૂલી ના જાવ તમે…! ’

‘ ચમ હું મળ તે…? કો’કે જોણ્યું હોય, અનુભવ્યું હોય એ જોણવા મળ. ઇનો વિચાર ખબર પળ ’

‘ બીજાનો વિચાર જાણીને શું કરવાનું…! ખાઈ-પીન હેયન બાકી ઊંઘી જવાનું હોય… બિંન્દાસ… ’

‘ ઇમનમ ખઈ-પીન તો કુતરો-બલ્યાળ્યોયે પળ્યો જ રઈ’સ ન…! ’ એમના જવાબથી હું જરા ભોંઠો પડ્યો. ‘ પસ તો આપળ ન ઈમન વચ્ચે હુ ફરક ’ર્યો…? એયે ખઈ-પીન જમીન પર આળોટીન ઊંઘ સ, ન હું ઓય ખાટલા મઇ… ’ હું ચુપ રહ્યો એટલે એમણે વાત આગળ વધારી.

‘ હોભળ અવ… પળ્યું રેલું લોઢું હોયન, એ ઇના કાટથી જ ખવાઇ જાય… પણ લોઢું વપરાતું રેન તો ઇન કોયે નો થાય. ઇમ વોચતા રઇયે તો કો’ક જોણવા મળ. હારા હારા વિચારો વોચીયે તો ઓય…’ એમણે માથા પર બે-એકવાર ટપલી મારી ‘….ઓય કોક વિચારોમો ફળદ્રુપતા આવ. ઇમનમ તો પળ્યા રઈન તો ઢેખાળો જોણવા મળ…!!! હમજ્યો ક નઇ…? ’ એમણે એમની મોટી સફેદ ભ્રમરો ઊંચી કરી સહેજ હસીને બોલ્યા. એમના વિચારોમાં મને તથ્ય લાગ્યું હોય એવું વિચારતા મેં ‘હા’ કહીન માથું હલાવ્યું.

‘ તમે કો’ક વોચ્યું હોય તો કોક્ન કશુંક કૈ હકો, વોચ્યા વિના હુ કો…? શકોરું…!!! ’ એમનો છેલ્લો શબ્દ સાંભળી હું હસી પડ્યો. અને પછી એ પણ હસતાં હસતાં બોલ્યા ‘ ખોટી વાત સ કોય…? ’

મેં હસતાં હસતાં નકારમાં માથું ધુણાવ્યું.

‘ તો પસ… આ ધર્મલોકમો તો મોય મોય એવા હારા હારા દાખલા (દ્રષ્ટાંતો) આવ સન ક તમન હુની ઘેડ પડી જાય… ’ હજુ થોડુક હાસ્ય મારા ચહેરા પર ફરકતું હતું.

‘ જેમો તમન રસ પડતો હોય એ વોચોન તમે… એ કદીયે નો ભૂલાય… ઓઈકણ્યો… ’ ફરીથી માથા પર બેત્રણ વાર ટપલી મારી બોલ્યા ‘….ઓઈકણ્યો ભેજામાં ગમતે ખૂણા મોયે પડ્યું જ ર્યું હોય. કો’કના જોડ સત્સંગ કરીયે તો મારું બેટું શી ખર ચોયથીયે યાદ આઈ જાય. આ..આ… વોચ્યું હોય તો યાદ આવ, વોચ્યું નો હોય તો કોય શકોરુંયે યાદ નો આવ. દિવેલ પીધેલા હોય એમ ઊભા રઈન હોભળે જવાનું… હાચું ક ખોટું… કુણ ભા ન ખબર પળ…! ખોટી વાત સ..કોય? ’ ફરીથી અમે બન્ને ખિલખિલાટ હસ્યા.

‘ સાચી વાત દાદા… ’ એમની વાત સાથે સંમત થતાં બોલ્યો.

‘ મોણસ એ ખોટા વિચારો કરી કરીન ભોંગીયે પડ –આપઘાતે કર, અન એજ મોણસ પાહ હારા ઊંચા વિચારો હોય એ વિચારીન મહાનેય બન –દુનિયાન કોક નવુંયે આલીન જાય. બધો ખેલ વિચારોનો જ સ પાર્થ. મહત્વ હમજ્યા એજ કો’ક નવું કરી જોણ. ’ પછી એમણે બાજુમાં પડેલું છાપું લઈને કશું શોધતા હોય એમ પત્તાં ફેરવી એક લેખ કાઢીને મને વાંચવા આપ્યો. કૃષ્ણકાંત ઉનડ્કટનો એ લેખ હતો. એ લેખ વાંચતાં વાંચતાં એવો રસ પડ્યો કે ઘરમાં જેટલા છાપા હતા એ બધામાં એમના લેખો શોધી શોધીને વાંચી લીધા.

એ દિવસથી દાદાએ મને વંચનના દરિયામાં જ્ઞાનરૂપી ડુબકી લગાવતો કરી દીધો. જ્યારે હું સ્કૂલ કે ટ્યુસનથી ઘરે આવું એટલે હાથ-પગ ધોઈને, ફ્રેસ થઈને પહેલા દાદા જોડે ખાટલામાં બેસી જઉં. દાદાએ આખા દિવસમાં છાપાના ખૂણે ખૂણા વાંચી લઈને મારા માટે શીખવા-જાણવા જેવા લેખ હોય એ લેખોને ગળી વાળીને તૈયાર રાખી મુક્તા. પછી હું શાંતિથી એક-એક લેખ વાંચું. કોઈ શબ્દનો ગૂઢ અર્થ હોય તો એમને પૂછી લેતો. એમના શબ્દભંડોળથી મારી મૂંઝવણ ઉલેચી દેતા.

અગિયાર-બાર સાયન્સમાં પણ હું ભણવા સિવાયનું વાંચન કરતો. દાદા આખા દિવસમાં છાપામાંથી ખાસ મારા માટે ચૂંટેલા લેખ એમની ટેવ મુજબ જેમ ગળી વાળીને તૈયાર જ મૂક્યા હોય. અને હું એ લેખો વાંચીને ઇન્સપાયર થઈ જતો. ધીરે ધીરે જીવન વિષે, આધ્યાત્મ વિષે વધુ જાણતો થયો. નવું નવું વાંચવાની, જાણવાની જિજ્ઞાસા વધતી ગઈ. સ્કૂલ-ટ્યુસનથી આવીને ભણવા સિવાયનું વાંચતો એટલે મૂડ ફ્રેસ થઈ જતું. બધા જ રસપ્રદ લેખ વાંચી લઉં પછી દાદાન ‘થેંક્યું’ કહીને રૂમમાં ભણવા…

બસ એ દસમા ધોરણથી દાદાએ જે વાંચનનો નશો કરાવ્યો છે એ આજદિન સુધી અકબંધ (intact) રહ્યો છે. દાદાએ મને જે રીતે વાંચતો કર્યો એ હંમેશા યાદ રહેશે. જીવનને જાણવા-સમજવા માટે સાહિત્યરૂપી ડેમનો દરવાજો ખોલી જ્ઞાનરૂપી અમુલ્ય વિચારોનો ધોધ વરસાવ્યો…

મારા દાદા તો મારા જ દાદા છે… ઘરમાં હું એમને ‘બચ્ચન’ કહીને જ બોલાવું છું. છ ફૂટ હાઇટ છે એમની એટ્લે…

‘આઠેય પોહોર બિંન્દાસ રેવાનું…’ આ એમનો જીવન મંત્ર છે. એટલે જ તો 84 વર્ષે અડીખમ છે. 20-20 રાત્રેય જાગીને આખી જોવાની… અમે બન્ને શરતો પણ મારીયે પાછી…હા.

હારે એ પાન ખવડાવે…

***

Posted in Uncategorized

પુસ્તકોના વાંચન વિષે કેટલાક પ્રશ્નોનો ખુલાસો…!

1. બે પ્રકારના વાંચકો હોય –પુસ્તકિયો કીડો (Book worm) અને પુસ્તક પ્રેમી (Book lover).

Book worms :

કયા વિષય પર હું વાંચું તો મારે માટે ઉપયોગી હોય એ જાણવા મળે…? પુસ્તક વાંચ્યા પછી કશુંયે શીખે નહિઁ, શું important છે એની priority આપ્યા વગર એમને જે આપો એ ઊંધું ઘાલીને વાંચ વાંચ જ કરે. આ પ્રકારના વાંચકોને ‘પુસ્તકિયા કીડા’ કહેવાય. એમને બધુ જ વાંચવા જોઈએ. પણ એ પુસ્તક વાંચ્યા પછી જો એમ કે’વામાં આવે કે, ‘તને પુસ્તક કેવું લાગ્યું એનો જરા શોર્ટમાં રિવ્યુ આપજે !’. તો મગજ બ્લેન્ક થઈ જાય. અને અઠવાડીયા પછી તો એમાનું કશુએ એમનું યાદ જ ના હોય. Book worms હોય એ પુસ્તક વાંચ્યા પછી એના પર પરિશીલન (મનન) નથી કરતાં. બસ, વાંચી નાખે. એમને ‘Book worms’ કહેવાય.

(Book worms હોવું એ ખરાબ છે એવું કહેવાનો ભાવાર્થ જરાય નથી. જે લોકો પુસ્તકો વાંચતા જ નથી એમના કરતાં તો ઘણું સારું છે. Book worms હશો તો ગમે ત્યારેય તમે Book lovers તો બની જ જશો. પાણી જે પથ્થરો પરથી સતત વહેતું હોય એ પથ્થર લીસો અને ચોખ્ખો જ હોય. એમ જેટલું વાંચન થતું રહેશે એમાંથી ધીરે ધીરે સ્પષ્ટતા અને સમજ વધતી જ જાય. અને પછી Book loves ની કેટેગરીમાં… )

Book lovers :

જે પુસ્તકોનું વાંચન કરતો હોય પ્લસ પુસ્તકમાંથી એને જે ઉપયોગી હોય એનો ક્યાસ કાઢી લેતો હોય.

પુસ્તક વાંચ્યું હોય એનો ખરો અર્થ ક્યારે સરે? જ્યારે પુસ્તકમાં વાંચેલું કોઈ એક પત્તું કે નવલકથાનું કોઈ પાત્ર આપણે નીરસ (ડિપ્રેસ્સ) ફીલ કરતાં હોઈએ, કોઈ મહત્વનો નિર્ણય કે રિસ્ક લેવા જતાં હોઈએ ત્યારે ઢચુપચુની (hesitate) લાગણીઓ ઘેરી વળી હોય એ સમયે તમે વાંચેલા કોઈ પુસ્તકની એક લાઇન કે પાત્રનું વલણ, કે સંવાદ (ડાઈલોગ) અંદર ઝબકી જાગે અને હિંમ્મત આપે પ્રેરિત કરે ત્યારે સમજી લેવાનું કે તમે પુસ્તક વાંચ્યું એ ખરા અર્થમાં સાર્થક થઈ ગયું. 400 પેજનું આખું પુસ્તક ગોખીને લેવાની જરૂર નથી. માત્ર સમજવાની જરૂર છે.

બાકી પુસ્તક મજા માટે (for entertainment) વાંચો એ પણ સરસ જ છે. પણ આપણને જીવનમાં ઉપયોગી થાય, મદદરૂપ થાય તો તો એ… THE BEST કહેવાય.  આ પ્રકારના વાંચકને હું પુસ્તક પ્રેમી (Book lover) કહું છું. જે પુસ્તકને વાંચીને એના પર પરિશીલન કરે છે –સમજી-વિચારી એમાંથી ક્યાસ કાઢી લે છે.

પુસ્તક વાંચી લેવું જોઈએ, વાંચી નાખવું નહીં.

[ કઈ કેટેગરીમાં આવવું અથવા કયા પ્રકારના વાંચક બનવું એ નક્કી કરી લો… ]

(By the way, It’s just a personal opinion… so keep this in mind. Don’t judge main article by reading this answer.)

*

2. પુસ્તકો વાંચવાનો રસ કેવી રીતે જગાવવો….?

બે જવાબ છે.

એક – જેમણે અત્યાર સુધી ભણવા સિવાય બીજા કોઈ પુસ્તકો વાંચ્યા જ ન હોય એમના માટે.

બીજો – બાળકો માટે. જે હજુ ભણે છે. ઘડો ઘડાય છે એટલે કાઠલાને જેવો શેપ આપશો એવો તૈયાર થશે.

એક – પહેલા તો તમને જે વિષય પર વાંચવું ગમતું હોય અથવા જેમાં વધુ સારો ટપ્પો પડતો હોય એ શોધી પાડો. અધ્યાત્મિક, ધાર્મિક, ટૂંકી વાર્તા, આર્ટિક્લ્સ, રમૂજીક વાર્તા, નિબંધ, નોવેલ્સ, સાયન્સ રિલેટેડ… કે કોઈપણ સાહિત્ય હોય એની પાતળી પુસ્તિકાથી શરૂઆત કરો. બોરિંગ લાગે તો મૂકી દેવાની ને બીજી ઉપાડવાની. રસ પડે એજ વાંચવાનું. ધીરે ધીરે રસને વધારવાનો. દિવસમાં થોડોક નવરાશનો સમય મળે થોડુક વાંચી લેવાનું. જાડા દળદાર કે ફિલોસોફી દાબી-દાબીને ઠોકી હોય એવા પુસ્તકો નહિઁ વાંચવાના –ભમી જશે. એક તો ટપ્પો પડે નઇ, ને લાંબું ડાચું ખેંચાઇ જાય એવડા મોટા તો બગસા આવે. એટલે શોર્ટ અને ઇન્ટરેસ્ટિંગ હોય એવું વાંચન કરવું. અમુક સમય પછી લાગે તો રીડિંગ ડોઝ વધારવો. અપખ ના પડે એ ખાસ જોવાનું. Reading should be easy and enjoyable, shouldn’t be a burden.

પેલી વાર્તા છે ને ; એક હોશિયાર માણસ પાસે એક ગધેડો હતો. એ માણસને વીસ કિલોના ભારની ગુણી ગધેડા ઉપર મૂકીને બીજા ઠેકાણે લઈ જવાનો હતો. એટલે એણે ગધેડા પર એકી સામટું વીસ કિલો વજન મૂકી દીધું. ક્ષમતા બહાર થઈ પડતું એટલું ભારે વજન બિચારા ગધેડા પર આવતા એના ટાંટિયા ફસડાઈ પડતાં. અને નીચે બેસી પડતું.

એ માણસ હતો ચબરાક. એટલે એણે વીસ કિલોની ગુણી બાજુમાં મૂકી. ગધેડા પર હાથ ફેરવી પંપાળીને ઊભું કર્યું. પછી ગધેડા ઉપર એ માણસે એક એક કિલોનો ભાર ધીરે-ધીરે મૂકતો ગયો. જેમ જેમ એનો માલિક વજન વધારતો ગયો એમ એમ ગધેડો પગ આગાપાછા કરીને એની રીતે અડજસ્ટમેંટ કરતો ગયો. ગધેડા પર વજન વધતું ગયું. છેલ્લે એક કિલોનું વજન મૂકીને વીસ કિલોનું નેટ વજન ગધેડા પર મૂકી દીધું. ગધેડો ત્યારે પણ એના પગ સીધા મજબૂત બનાવી ઊભો હતો.

હવે વિચારો કે, શરૂઆતમાં ગધેડા ઉપર જે એકી સામટું વીસ કિલો વજન મૂકી દીધું તો એ નીચે ફસડાઈ પડ્યો. જ્યારે એના માલિકે એટલુ જ વજન ધીરે ધીરેથી વધારતો ગયો અને આખરે એટલું જ વીસ કિલો વજન મૂકી દીધું છતાંયે ગધેડો બિંન્દાસ ઊભો જ હતો.

કહેવાનો ભાવાર્થ એ છે કે, આપણું મન પણ એક રીતે ગધેડા જેવો જ ગુણ ધરાવે છે. એને ધીરે-ધીરે ટેવડાવું પડે (get use to કરવું પડે). ગધેડો…!!! એમનમ જ થોડો કહેવાય છે એને !

સારી ટેવ પડે નહિઁ, પાડવી પડે. એટલે જ તો કહું છું –વાંચવા માટે સમય મળે નહિઁ, કાઢવો પડે. આ ડિજિટલ સમયમાં તો સ્માર્ટફોન હાથમાં લો એટલે મોટેભાગે આપણો અંગુઠો સીધો જ Whatsapp કે facebook પર જ જતો રે છે. જોવે કે ; ‘કોઈએ કશું નવું પોસ્ટ કર્યું કે નઇ !, પેલાનો રિપ્લાઇ આયો કે નઇ !’. અરે ભઈ…! થોડોક સંયમ કેળવો. પુસ્તક હાથમાં લઈને થોડુક મનગમતું વાંચન કરી લો. સારી ટેવ પાડવા થોડાક સજાગ થવું જ પડે. એમનમ જ ના પડી જાય. We must work on it.

બીજો બાળકોમાં જેવી ટેવ પાડો એવી પડે. ‘કોરી સ્લેટ’ જેવા કહેવાય. એટલે નાનપણથી ભણવાના પુસ્તકો સાથે સાથે બાળવાર્તાઓ વંચાવાની ટેવ પડાવો. એ માટે પહેલા તો માતા-પિતાએ પોતે વાંચનની ટેવ પાડવી પડે. બાળકોને તમે કહેશો એના બદલે તમે શું કરો છો એનું અનુકરણ એ પહેલું કરશે. કારણકે તમે જે કરો છો એ પ્રેક્ટિકલ લાગશે એને. એ ફોલો વહેલું કરશે. બાકી તો, તમે પોતે ગોળ ખાતા હોવ ને બીજાને કહેતા હોવ કે ; ‘ અલ્યા ! ગોળ ના ખવાય, હળવળિયા પડે’ આવી શિખમણો આપો તો ક્યાંથી મેળ ખાય !

આપણાં ગુજરાતી સાહિત્યમાં કેટલાયે સુંદર પુસ્તકો છે વાંચવા જેવા. પંચતંત્ર, અળુક્યો ઢળુક્યો, અકબર બિરબલ, ઈશપની વાર્તા. ખ્યાતનામ વિદેશી કેટલીયે બાળવાર્તા ગુજરાતીમાં ભાષાંતરીત કરી છે – શેરલોક હોમ્સ, પોલિએના. અને અંગ્રેજી સાહિત્યમાં તો અઢળક પુસ્તકો છે…

એકવાર એને ભણવા સિવાયના પુસ્તકો વાંચવાનો રસ પડવાનો શરૂ થયો એટલે એ વાંચક બની ગયો સમજો. અમેરિકામાં એક રિસર્ચ પરથી માલુમ પડ્યું કે ; સ્કૂલમાં ભણતા અમેરિકાના બાળકો શરીરીક રીતે ખૂબ સ્વસ્થ હતા, પણ માનસિક રીતે ઉદાસ અને નીરસ રહેતા. બાળકોની એ શૂન્ય માનસિકતા પુસ્તકો ભરી દે છે. Only reading and knowledge can fill that vacuum.

આલબર્ટ આઇનસ્ટાઇને કહેલું એક સરસ ક્વોટ યાદ આવે છે :

“If you want to be your children intelligent, read them fairy tales. If you want your children to be more intelligent, read them more fairy tales.”

આવું એમણે કેમ કહ્યું…?

કારણકે fairy tales એ ફેન્ટસી છે. (ફેન્ટસી એટલે વાસ્તવિક દુનિયામાં જે શક્ય નથી તે, પણ કાલ્પનિક દુનિયામાં બિલકુલ શક્ય છે…) જ્યારે તમે બાળકને fairy tales વાંચવા આપો ત્યારે એ અશક્યને એની ઈમેજીનેશનમાં સર્જવાનો, વિચારવાનો પ્રયત્ન કરશે. જેટલી સરસ વાર્તા અને એનું વર્ણન એટલું સરસ બાળક ઈમેજિન કરશે. ધીરે-ધીરે એની ઈમેજીનેશનની પાંખો ફૂટી નીકળશે. ઈમેજીનેશન ખીલવા લાગશે.

આઇનસ્ટાઇને કહ્યું છે કે : “Imagination is more important than knowledge.” ઈમેજીનેશન એ જ્ઞાન કરતાં પણ વધુ અગત્યની છે. આ ઈમેજીનેશન અગત્યની છે તો વધારવી ક્યાંથી…?

આઇનસ્ટાઇન દાદાએ કીધું એમ : બાળકોને fairy tales વંચાવો…. વધુ બુધ્દ્ધિશાળી કરવા છે…? તો વધુ fairy tales વંચાવો.

*

3. બે પ્રકારનું વાંચન હોય.

એક હોય છે ‘ફરજિયાત’ અને બીજું ‘મરજિયાત’.

ફરજિયાતમાં ભણવાના પુસ્તકો હોય. જે વાંચવા જ પડે નહીંતર માર્કસ ના આવે. માર્કસ ના આવે તો સારી નોકરી ન મળે. અને સારી નોકરી ન મળે તો કદાચ સારી છોક…

ખેર, મરજિયાતમાં કોઈ restriction જ ના હોય. બાકી બિંન્દાસ… જેમાં રસ પડે એ ઉઠાવાનું. ના પડે તો બીજું ઉઠાવાનું.

ભણવાના પુસ્તકોમાં મોટેભાગે માત્ર પૈસા કમાવા માટેનું, ધંધાકીય જ્ઞાન હોય છે (વેલ, એ પણ જરૂરી જ છે). પણ બાકીના પુસ્તકોમાંથી જીવન વિષે વધુ જાણી શકાય છે. જીવનમાં નિષ્ફળતા આવે તો શું કરવું એ ફિઝીક્સ, કેમેસ્ટ્રી, ભૂગોળ, કે મેથ્સની કોઈ થિયેરી કે સૂત્રોમાં ના આવે કે કેવી સોલ્યુસન લાવવું. એતો મહાન લોકોની જીવનકથામાં આવે, જીવનના કડવા સત્યો વિષેના પુસ્તકોમાં આવે, બોધ-કથાઓમાં આવે. ઈતર પુસ્તકો વાંચેલા હોય એ કામમાં આવે. માનસિક ભાંગી પડ્યા હોવ તો એ પુસ્તકો વ્યક્તિને ઊભો કરે. વાંચેલી કોઈ વાર્તા કે નવલકથામાંનું કોઈ પાત્ર માનસપટ પર ઝબકી ઊઠે, એનો કોઈ સંવાદ (ડાઈલોગ) યાદ આવે, જે આપણને ઊભા કરવા આંતરિક ધક્કો મારે. પ્રેરણા આપે. આ ઈતર પુસ્તકોમાં હોય. મરજિયાત વાંચનમાં હોય.

*

4. પુસ્તક પર આધારિત મૂવી કરતાં પુસ્તક વધુ કેમ ગમતું હોય છે…?

વેલ, આ પ્રશ્નનો કોઈ એક તરફી સાચો જવાબ આપી શકાય એવો નથી. તો પણ બે બાજુએથી તટસ્થ રહીને મારો દ્રષ્ટિકોણ રજૂ કરીશ.

પહેલો પોઈન્ટ –

આપણે પુસ્તક વાંચીએ ત્યારે એમાં લખેલુ ઝીણવટભર્યું છટાદાર વર્ણન આપણને વાર્તામય કરી અંદર ઉતારી દે છે. જેમ જેમ વાંચતાં જઈએ તેમ તેમ આપણાં મનમાં એ મનોચિત્ર રચાતું જાય.

સમાન્ય રીતે, જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણી પાસે વિચારવા માટે ઘણો સમય હોય છે. વાંચન એ આપણને વિચારવા અને સમજવા એક pause-reveres નું button આપે છે. ખ્યાલ ન આવે તો આપણે ફરથી એ ફકરો વાંચી શકીએ છીએ. કોઈ રોમેન્ટીક કે ઇમોશનલ સીન તમને વાંચવાની મજા આવી જાય એવો હોય અથવા તમારા ટેસ્ટને મળતો આવતો હોય, તમારા ખ્યાલોમાં મમળાવો ગમતો હોય તો તમે એ વર્ણન ફરીથી વાંચીને વધુ ઘૂંટી ઘૂંટીને મજા લૂંટવાની ઈચ્છા થાય.

– જ્યારે થિયેટરમાં મુવી જોઈએ છીએ ત્યારે આપણી પાસે pause-reverse નું button હોતું નથી. મુવી જેમ ચાલે જતું હોય એમ જોઈએ જવાનું –નજર બાજુમાંથી પોપકોન ખાવા જતી રે તો સીન મિસ થઈ જાય. અને એ રિવસ કરવાનુંયે ના કહેવાય પાછું.

પુસ્તક વાંચતાં આપણે વર્ણન મુજબ ઈમેજીનેશનથી ચિત્ર ખડું કરીએ છીએ, જ્યારે મુવીમાં એ already તૈયાર જ હોય છે. એમાં મગજ ન વાપરો તો પણ ચાલે. બસ આંખો ખોલીને નિહાળવાનું હોય છે.  

–જ્યારે પુસ્તક વાંચતાં હોઈએ ત્યારે વધુ સજાગતા જોઈએ.

બીજો પોઈન્ટ –  પુસ્તકમાં હોય એ બધીજ માહિતી, સંવાદ, સીન, મૂવીમાં રજૂ કરવા અશક્ય હોય છે. મુવીમાં બે કે અઢી કલાકમાં 300 પેજ કે વધુ પેજની બૂકમાં હોય એ બધુ પડદા પર બતાવવું પ્રેક્ટિકલી શક્ય નથી. અમુક ઘટના કે સંવાદોમાં કાપકૂપ કરવી જ પડે.

[હૈરી પોટરના સાતેય સાત દરેક પુસ્તકોના સરેરાશ 500 અથવા એનાથી પણ વધુ પેજ છે. એના પરથી જે મુવીઝ બન્યા છે. એ લગભગ અઢી કલાક જેટલા લાંબા છે. પુસ્તકમાં ઘણીબધી સરસ ઘટનાઓ જે વાંચવાની મજા પડી જાય એવી છે. જો એ મુવીમાં બતાવવી હોય તો મૂવી બહુ લાંબુ થઈ જાય.]

મુવીની અને પુસ્તકની સ્ટોરીટેલિંગ ટેક્નિક પોતપોતાની રીતેમાં આખી અલગ શૈલી છે. કોઈ એકને Judge કરીને એની ‘સ્ટોરીટેલિંગ’ સૌથી વધુ મોહનીય છે એમ કહીને એનું પલ્લું ભારે કરી શકાય એવું નથી.

‘Cinema and Books both are greatest storytelling medium by itself. can not be judge by the way its tell, but only by how the presenter manifest towards the world.’

– Parth Toroneel.

અમુક વખતે મુવીમાં જે પાત્ર જોઈએ–જાણીએ એના કરતાં પુસ્તકમાં વર્ણવેલા પાત્રમાં વધુ આત્મીયતા લાગતી હોય છે.

પુસ્તકમાં તો લેખક પોતે જ બધા કેરેક્ટર જીવતો હોય, એજ ડિરેક્ટર, એક્ટર્સ, એડિટર, cinematographer, લોકેસન સિલેક્ટર, શબ્દોથી વિઝુયલ ઇફેક્ટ રચતો હોય છે. કોઈ પાત્રના મનમાં exactly શું ચાલી રહ્યું છે એને સવિસ્તર વર્ણવી શકે, લાગણીઓને અભિવ્યક્ત કરી શકે, અને એ વાંચીને વાંચક એ પાત્રની મનોસ્થિતિ કેવી છે એ અનુભવી શકે, મહેસુસ કરી શકે.

પુસ્તક વાંચતાં આપણે જે રીતનું ઈમેજિન કર્યું હોય એ મુજબની સામ્યતા મુવીમાં ન અનુભવાય તો પણ મુવી એટલું ટચ ન કરે.

ડાઇરેક્ટરે પુસ્તકને જેવું ઈમેજિન કર્યું હોય, એવું કેમેરામાં કેદ કરી વાર્તા રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. અમુક વખત એમાં ઍક્ટિંગ જોઈએ એવી અસરકારક ન હોય, ડાઇરેક્શન યોગ્ય ન કર્યું હોય, સ્ક્રીનપ્લેમાં કમજોર હોય એટલે પુસ્તકનો જે જાદુ હોય, એનો આત્મા હોય એને કેટલીકવાર ન્યાય ન પણ મળે.

[હોરર અને થ્રિલર નોવલનો બાદશાહ સ્ટીફન કિંગ જેની બેસ્ટ સેલિંગ નોવેલ ‘The Shining’ પરથી એજ નામનું મુવી સ્ટેંન્ડલી ક્રુબિકે બનાવ્યું. મુવી જોયા પછી સ્ટીફન કિંગ કહે છે કે ; સ્ટેંન્ડલી ક્રુબિક હજુ પુસ્તકને સમજ્યા જ નથી કે પુસ્તકનો ભાવાર્થ શું કહે છે !. એ વસવસો હજુ એમને રહી ગયો છે. જોકે આ વાતનો ફોડ એમણે સ્ટેંન્ડલી ક્રુબિકના મૃત્યુ પછી પડ્યો હતો. ] 

મુવીની મજા :–

મુવીમાં જે 3D experience થાય એ બૂક વાંચતી વખતે ન જ થાય. [agreed]

મુવીમાં જે એક્શન સિન્સ કે આપણી દુનિયાથી બિલકુલ અલગ જ દુનિયા બતાવવી હોય તો એ વિઝ્યુયલ ઇફેક્ટ દ્વારા મુવીમાં ડગળી ચસકી જાય એવા સીન-સિનેરી જોવા મળે. [Avatar (2009), Gravity (2013), interstellar (2014), Arrival (2016)… બીજી કેટલીયે મુવી છે એનેય ધ્યાનમાં રાખીને agreed…]

અમુક પુસ્તકો વાંચતાં આપણી ઈમેજીનેશન પૂરેપુરું એ દ્રશ્ય ખડું કરવા જેટલી સક્ષમ હોતી નથી એટલે એ પુસ્તક પર આધારિત કોઈ મુવી બને ત્યારે પુસ્તક કરતાં મુવી વધુ ગમે. કારણકે અમુક જોનરા (genre) ફેન્ટસી, સાયન્સ ફ્રિકસન પુસ્તકોમાં વર્ણવેલું હોય એ એટલું સ્પષ્ટ ઈમેજિન અમુક વાંચકો (lack of imagination વાળા) ન કરી શકે, પણ સિનેમા એ બખૂબી તરીકે રજૂ કરી શકે છે. એટલે મુવી જોવાનો જલસો પડી જાય.

Never judge a book by its movie. – J.W. Eagan

*

6. ચકો ચડ્યો કોટ પર…

img_2838

આ ટેણિયાએ ચોપડીઓનો થક્કો કરી, ઉપર ચડી, કોટને પેલી પારની અદભુત દુનિયાનો નજારો  જોવે છે…?? ના, ભઈ ના. આખો જરા ઝીણી કરી કોટની ભીંત પર શું લખ્યું છે એ વાંચી જોજો… હા. વાંચ્યુને !.

ચિત્ર પરથી એવું લાગે છે કે, બકો વર્તમાનમાં બહુ હેરાન-પરેશાન છે. વાટ લાગેલી છે. એટલે પુસ્તકો દ્વારા બકાએ વર્તમાનમાંથી છટકબારી કરી છે. અને એ પુસ્તકોના ઢગલા ઉપર ઊભો છે મતલબ એ પુસ્તકોની અંદરની જે દુનિયા છે એ દુનિયા પુસ્તકોની થક્કી ઉપર ચડી, કોટની પેલી પાર દુનિયા કેવી જોવે છે એ આપણને દેખાડે છે. [ અર્થ થોડોક ગુઢ છે. સીધું સાદું ચિત્ર નથી. ]

Hold on… હજુ થોડુક ધ્યાનથી ચકાને જુઓ… હા. જોયું ને… ચકો પુસ્તકોની થક્કી ઉપર ચડીને થક્કી ઉપર ઊભો નથી. ચકો કોટ પકડીને હવામાં લબડે છે જુઓ જુઓ… મતલબ ચકલો વાંચવામાં તલ્લીન થઈ ગયો છે અથવા એને વર્તમાનની રિયાલીટી કરતાં ત્યાંની દુનિયામાં રાચવું વધુ ગમે છે. એટલે એણે વર્તમાનમાંથી પણ પગ ઉપાડી લીધા છે. પગ વાળીને કોટ પર ચડી ચકો પેલી પાર ભૂસકો મારીને જતો ના રે…એટલે બસ. નકર ઇન મમ્મે ગોતા ગોત કરશે… કે ‘માર ચકલો ચો જ્યો… માર ચકલો ચો જ્યો…’

***

Posted in Uncategorized

જીવનમાં વાંચનનું મહત્વ

Jivan Ma Vanchan Nu Mahtv: Ane Tena Fayada

“જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.”

– Dr. Seuss (American author)

પહેલા તો આપણે “પુસ્તક શું છે…?” આ પ્રશ્નને ખરા અર્થમાં સમજીએ.

પુસ્તક શું છે…? – કોઈ તમારા-મારા જેવી વ્યક્તિએ પોતાના સ્વવિચારોને શબ્દદેહ રૂપે કાગળ પર અંકિત કર્યા છે, આલેખ્યા છે, જે પુસ્તક સ્વરૂપે લોકો સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ છે. જો એ વ્યક્તિ એના વિચારો મનના ભંડકીયામાં જ ધરબી રાખે, તો એનો લાભ, એની અગત્યતા, ક્યારેય બાહ્ય દુનિયામાં પ્રાકટ્ય થતી નથી. એ એના મનમાં જ બંધ પડી રહેશે અને એની જીવન અવધિનો દોર સમાપ્ત થશે તેની સાથે એના વિચારો પણ એની સાથે વિલયિત થઈ જશે—પણ જો એ વિચારોને શબ્દોમાં ઉતારી લે, તો એ વિચારો પુસ્તકમાં સુષુપ્ત અવસ્થામાં સદંતર જીવંત રહેશે. વ્યક્તિના મૃત્યુના પછી પણ વર્ષોના વર્ષો સુધી… એ વ્યક્તિએ સર્જન કરેલું શાબ્દિક સાહિત્યવિશ્વ લોકો દીર્ધ સમય સુધી વાંચતાં રહેશે, જાણતા રહેશે, શિખતા રહેશે, અમલ કરતાં રહેશે – આ છે પુસ્તક!

પુસ્તક જેમાં કોઈનો વિચાર સુષુપ્ત રીતે ધરબાયેલો છે. એ વિચારના અનેક સ્વરૂપો હોઇ શકે – ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, લેખ, કવિતા, ગઝલ કે સાહિત્યના કોઈપણ સ્વરૂપે.

કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે; અને એ વિચારોથી એની સમજ બદલાય, એની સમજથી એનો સ્વભાવ બદલાય, એના સ્વભાવથી એનું વ્યક્તિત્વ બદલાય, અને એનું વ્યક્તિત્વ બદલાય એટલે વ્યક્તિ આખી અંદરથી બદલાઈ જાય.

આ ક્યારે શક્ય થાય…?

સારા ઉન્નત વિચારોથી, જે સારા પુસ્તકોના વાંચનમાંથી મળે.

વ્યક્તિ બહારથી એવોને એવો જ દેખાતો હોય, પણ અંદરથી એ પરિવર્તિત થઈ જાય છે. પહેલા હતો એના કરતાં વધુ સમજદાર બને છે. નવા ઉત્કૃષ્ઠ વિચારો વ્યક્તિની સમજમાં સ્પષ્ટતા લાવે છે; એને અંદરથી નિખારે છે; વૈચારિક રીતે ધોઈને ઉજળોબળાક કરી દે છે.

ગાંધીબાપુએ કહ્યું છે કે: “સારા પુસ્તકો રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો બહારથી જ પ્રકાશતા હોય છે, જ્યારે સારા પુસ્તકો વ્યક્તિને અંદરથી જ્ઞાન દ્વારા પ્રકાશિત કરતાં હોય છે.”

બંધ પુસ્તકોમાં માહિતીનો ભંડોળ ભરેલો હોય છે. એમાંથી આપણે જે વિષય પર અભ્યાસ કરવો હોય એ કરી શકીએ છીએ. જે વિષયમાં દિલચસ્પી હોય એવા પુસ્તકો વાંચીને અવનવું જાણી શકાય, શીખી શકાય—જે આપણાં મંતવ્ય, સમજણશક્તિ, વિચારશક્તિને વિસ્તૃત ફલક પર ઉજાગર કરે છે, કલ્પનાશક્તિ ખીલવે છે. જીવનને અલગ આયામથી (dimension) જોવાનો દ્રષ્ટિકોણ બક્ષે છે, જીવનમાં થતાં સારા-નરસા અનુભવોમાં માનસિક રીતે સ્થિતપ્રજ્ઞ રાખે છે. દુ:ખદ પરિસ્થિતિમાં પણ દિર્ધદ્રષ્ટિથી જોવાની દ્રષ્ટિ કેળવે છે. સારા પુસ્તકોનું વાંચન આપણી જાતનું ‘newly updated version’ કરી આપે છે.

વાંચન વગર આપણી વિચારશરણી, કલ્પનાશક્તિ અમુક હદ સુધી પરિસીમિત જ રહે છે. વાંચન એ અંતરાય તોડી નવી દુનિયામાં વિહાર કરવા, આનંદમાં રાચવા, નવો દ્વાર ખોલી આપે છે, આપણી કલ્પનાશક્તિને પાંખો આપે છે, નવા ઉત્કૃષ્ટ વિચારો આપે છે, જીવન વિષેની આપણી સમજણને વધારે છે. પુસ્તક વાંચતાં વાંચતાં આપણને એક આખી અલગ જ દુનિયામાં લઈ જાય છે. પુસ્તકમાં લખેલું વર્ણન આપણને નવા નવા સ્થળો, વ્યક્તિઓ, પરિસ્થિતિનો પરિચય કરાવે છે. એના વિષેની ઘણી અકલ્પેલી શક્યતાઓ, વિભિન્ન દ્રષ્ટિકોણોના પડળો છતાં કરે છે.

પુસ્તકો એ એક પ્રકારના ટાઇમ-ટ્રાવેલ જેવુ જ છે. પુસ્તક વાસ્તવિક દુનિયામાંથી છટકબારી કરવાનો ‘એસ્કેપ વે’ આપે છે, જેમાં આપણે લેખકે સર્જેલી દુનિયામાં વિહાર કરી શકીએ છીએ.

વિચારો કે, 2070માં દુનિયા કેવી હશે..? લોકો કેવા ક્રાઇમ કરશે..? ટાઈમ-મશીન દ્વારા ભવિષ્ય કે ભૂતકાળમાં જઈ શકાય એ પ્રકારની નોવેલ્સ સોફામાં કે હીંચકા પર બેઠા બેઠા વાંચતાં આપણી ઈમેજીનેશન 50 વર્ષ આગળના ભવિષ્યકાળમાં લઈ જાય છે; અને એ ફ્યુચરેસ્ટિક સાયન્સ ફ્રિક્શન નોવેલ વાંચતાં વાંચતાં મમ્મી બૂમ પાડે કે, “ચકા…. હેડ જે ચા પીવા…!”

એટલે ચકો એક જ ક્ષણમાં 2070માંથી 2020ના વર્તમાનકાળમાં હાજર!

ગરમાગરમ ચા પીવા..!

આ એક પ્રકારનું ટાઈમ-ટ્રાવેલ જ તો છે. આ તાકાત પુસ્તકમાં છે. ફક્ત સરસ ઈમેજીનેશન ખીલવવી પડે; અને આ ઈમેજીનેશન પુસ્તકો વાંચવાથી જ ઘડાય, તીક્ષ્ણ થાય, વિસ્તૃત ફલક પર વિસ્તરે.

જેમ શારીરિક શૌષ્ઠવ મસ્ક્યુલર બનાવવું હોય તો મસલ્સને સ્ટ્રેસ આપવો પડે, નિયમિત કસરત કરવી પડે. એવી જ ટ્રેનિંગ માનસિક સ્તરે કરવી પડે – ઈમેજીનેશન શાર્પ કરવા અલગ અલગ જોનર (genre) ઉપરના અવનવા સરસ પુસ્તકો વાંચવા પડે.

મજાની વાત એ છે કે, એક જ જગ્યાએ બેસી રહેવાનું ને એક આખી અલગ જ દુનિયામાં ઘૂસી જવાનું. કોઈ શારીરિક શ્રમ કે ટિકિટ લીધા વગર, બસ ઈમેજીનેશન વાપરવાની અને સફર કરવાની…

અત્યાર સુધીના મહાન વિચારક અને નોબલ-પ્રાઇઝ વિજેતા ભૌતિકશાસ્ત્રી આલ્બર્ટ આઇન્સટાઇને ભારપૂર્વક કહ્યું છે કે –

પુસ્તકો આપણાં જીવનના વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે. ખરા અર્થમાં આપણો સાચો મિત્ર છે. કોઈ સિક્રેટ ન રાખે કે ન દગો કરે. આપણી પાસેથી કોઈ એની ડિમાન્ડ પણ હોતી નથી. જો કોઈ પુસ્તક ન ગમે તો બાજુમાં મૂકી દેવાનું (તો’યે રિસાય તો ના જ) ને બીજું પુસ્તક લેવાનું.

પુસ્તકો તો ખુલ્લો ખજાનો છે. આપણે વાંચી વાંચીને લૂંટવાનો હોય, મજા કરવાની હોય. પુસ્તકો તો એમની અંદર ધરબાયેલી દુનિયાનો દરવાજો સદંતર ખુલ્લો જ રાખીને બેઠા હોય છે. બસ આપણે વાંચીને અંદર પ્રવેશ કરવાનો હોય છે. જો ડોકિયું કરો ને રસપ્રદ લાગે તો વાર્તા જ આપણને ખેંચીને એની દુનિયામાં લઈ જાય. આગળ શું થશે…? શું આવશે…? એવી ઉત્કંઠા પુસ્તકના છેલ્લા પાનાં સુધી વાંચી રાખવા મજબૂર કરી રાખે.

Cosmos: A Personal Voyage ડોક્યુંમેન્ટરીના સર્જક અને ખગોળશાસ્ત્રી કાર્લ સાગન કહે છે, “ઈમેજીનેશન આપણને એક એવી દુનિયામાં લઈ જાય છે, જેનું અસ્તિત્વ હકીકતમાં હતું જ નથી, પણ એનું અસ્તિત્વ આપણે ઘડેલી ઈમેજીનેશનથી ઊભું થાય છે, વગર ઈમેજીનેશને આપણે ક્યારેય ત્યાં જઈ જ ન શકીએ, અને એનું અસ્તિત્વ પણ ઊભું ન થાય.”

પુસ્તક એ એક એવું ઉપકરણ છે, જે આપણી ઈમેજીનેશનને પાંખો આપે છે. આકાશ અને પાતાળથી પણ અનંત વિસ્તરેલી અવિરત દુનિયા છે ત્યાં. (કેટલીકવાર પુસ્તક વાંચ્યા પછી લેખક બનવાની ઈચ્છા ઊભી થાય. ઈમેજીનેશનથી વાર્તા રચવાની, પાત્રો ઘડવાની, એમાં લાગણી પૂરવાની, વાચા આપીને એમાં પ્રાણ ફૂંકી નાનું-મોટું સર્જન કરવાની, શબ્દોમાં આલેખવાની ઇચ્છા થાય. કાલ્પનિક દુનિયામાં આપણે ઈચ્છીએ એવું સર્જન કરી શકીએ છીએ. It’s a fully customized world. It’s all up to us which sort of tools we use to sculpt it.)

પુસ્તક એ એવું ઉપકરણ છે કે, જે તમને ખુલ્લી આંખોએ સપનું દેખાડે છે. પુસ્તકમાં એક આખી સર્જેલી દુનિયા ધરબાઇને સુષુપ્ત અવસ્થામાં પડી હોય છે. વાંચો ત્યારે વાંચકની ઇમેજીનેશનમાં એ જીવંત બની જાય છે. વર્ષો પહેલા મૃત્યુ પામેલા લેખકે શબ્દો દ્વારા સર્જેલા સાહિત્યવિશ્વને આપણે વાંચીએ ત્યારે તે આપણી ઇમેજીનેશનમાં સૂક્ષ્મ રૂપે આવીને જીવી જતો હોય છે; અને તે સદંતર જીવતો જ રહે છે, જ્યાં સુધી પુસ્તક અને વાંચક બંને હયાત હોય ત્યાં સુધી.

મતલબ, રૂમમાં કોઈ હવા-ઉજાસ માટેની જગ્યા ન હોય તો એ બંધિયાર કોટડી થઈ જાય. પણ જો બારી-બારણાં ખુલ્લા હોય, તો રૂમ હવા-ઉજાસ વાળો ફ્રેશ લાગે. રૂમ મતલબ આપણું “દિમાગ” અને બારીઓ મતલબ “પુસ્તકો”. સારા પુસ્તકો એ આપણાં દિમાગમાં જ્ઞાન રૂપી વિચારો દાખલ કરે છે. વર્ષો પુરાણી કુંઠિત વિચારસરણી, ગેરમાન્યતા દૂર કરી નવા અપડેટેડ વિચારો આપે. આપણાં મનનું સંવર્ધન (nourishment) કરે છે. જ્યારે જીવનમાં નિરાશા ઘેરી વળે, તકલીફો તૂટી પડે, વિશ્વાસ ઉઠી જાય, શ્રધ્ધા ડગી જાય, ત્યારે સારા પુસ્તકોનું વાંચન આપણને પ્રેરણા આપે, ફરીથી ઊભા કરીને આગળ વધવા આંતરિક બળ પૂરે છે…

આ નિર્જીવ પુસ્તકમાં આટલું કૌવત (power) કેવી રીતે હોઇ શકે…?

છે તો એક કાગળિયું જ ને…!

હા, છે તો એ કાગળિયું જ, પણ એ કાગળ ઉપર કોઈકનો વિચાર ધબકતો હશે, કોઈકનો અનુભવ બોલતો હશે, કોઈ માણસે શૂન્યમાંથી સર્જન કર્યું હશે એની આખી જીવન કહાની હશે, પ્રેરણાદાયી નવલકથાના પ્રેરક પાત્રો બોલતા હશે, કોઈકે જીવનમાં ઠોકરો ખાઈને શિખેલા બોધ પાઠ કહ્યા હશે, કોઈ કવિ કે ગઝલકારે દિલની લાગણીઓ, મનમાં ભભૂકતી ચિંગારીઓને ચંદ લબ્જોમાં સંક્ષિપ્ત (compress) કરી કવિતા કે ગઝલોમાં લપેટી લીધી હશે. ભુતકાળના પુરાવા, વર્તમાનની વાસ્તવિકતા અને ભવિષ્યની શક્યતાઓને સંકેલી એક કાગળ પર અંકિત કરીએ ત્યારે એ સમય-સંજોગો પુસ્તકમાં પુરાઈ જાય; અને આપણે વાંચીએ ત્યારે એ આપણાં મનમાં જીવંત બની જાય છે. આ છે પુસ્તકનું કૌવત… મિત્રો!

એ વ્યક્તિઓએ એમના વિચારો, મંતવ્યો કે ફિલોસોફી આજથી પચાસ-સો કે હજાર વર્ષો પહેલા કહેલી હશે. એ વ્યક્તિ તો ખુદ અત્યારે તમારા કે મારા અંદર પ્રાણ ફૂંકી, ઉત્સાહનો સંચાર કરી, પીઠબળ આપવા તો આવવાના નથી જ that for sure, પણ  એમના અમૂલ્ય વિચારો, અનુભવો, જ્ઞાન એ પુસ્તકમાં મૂકીને ગયા છે. એમને મળવું હોય તો – એમના પુસ્તકો વાંચવાની જરૂર છે. એમના વિચારોને મમળાવાની જરૂર છે, ગમે તો જીવનમાં ઉતારવાની તો ખાસ જરૂર છે… 

એમણે જે ઠોકરો ખાઈને અડધી જિંદગી કોઈ એક શીખ કે અનુભવ મેળવવા માટે ગુજારી દીધી હોય એને આપણે વાંચીને શીખી શકીએ છીએ; અને એમના એ તારણ પર પહોંચવા માટે એમણે જે ઠોકરો ખાધી એ આપણે ફરીથી ખાઈને (શીખવામાં) ખોટો સમય વ્યર્થ નથી કરવાનો. એ પુસ્તકમાં એમનો સ્વાનુભવ એટલા માટે જ તો લખ્યો છે કે આપણે એ ભૂલ ફરીથી ન કરીએ. એ શીખવા ખોટા રસ્તે ફાંફાં ન મારીએ. પુસ્તકો વાંચીને એમના અનુભવોમાંથી શીખીને એ અનુભવો પોતાનો કરી શકાય. પુસ્તકો આપણને દુનિયામાં બની રહેલી તથા ગતમાં (in past) બનેલી દરેક જીવંત યા મૃત – વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સાથે નજીકથી પરિચય કરાવે છે. માતબર (ઠોસ) જાણકારી આપે છે.

મનીલો કે, ભૂતકાળમાં જે કોઈ મહાન વિચારકો, લેખકો, વૈજ્ઞાનીકો, દાર્શનિકો (philosopher) કે કોઈપણ નામચીન લોકો થઈ ગયા એમના વિષે કશું લખાયું જ ન હોત તો શું થાત….?

Just think for a while…..

આપણે ભૂતકાળમાં લોકોએ શું કર્યું એના વિષે કશું ખબર જ ન હોત. એમનો કોઈ વારસો જ ન મળત. ન્યુટને શોધેલ ગુરુત્વાકર્ષણ બળનો સિધ્ધાંત શું છે એનીય ખબર ન હોત. બસ ન્યુટનને અને એમની આજુબાજુના લોકોને એ વિષે જાણ થઈ હોત. એમના મૃત્યુ પછી એમના સાથે એમની મહાન શોધો પણ સમય સાથે વિસરાઈ ગઈ હોત.

ભૂતકાળમાં બનેલા મહાન વ્યક્તિએ શું કર્યું એ ક્યાંક લખાયું હોય તો આપણને ખબર પડે કે ભઈ – આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત શોધ્યો છે! જો એ ન લખાયું હોત તો આપણાં વૈજ્ઞાનીકોએ શોધવા, જાણવા ફરીથી એકડો ઘૂંટવો પડે. ભૂતકાળમાં થયું એ લખાયું એટલે આપણે એનાથી પરિચિત થયા, શીખી શક્યા, હજારો વર્ષો પહેલા શોધાયેલી વસ્તુ કે અનુભવેલું જ્ઞાન પુસ્તકોમાં સચવાયું એટલે અહીં આપણાં સુધી પહોંચ્યું. વગર પુસ્તકોએ દુનિયાનો વિકાસ સીમિત થઈ જાય. પુસ્તકો તો ભુતકાળમાં જીવી જાણેલા લોકો સાથેનો પરિચય કરાવે છે.

જેટલી શોધો થાય છે કે જે કશું નવું સર્જાય છે – એ આજદિન સુધી લખાતું આવ્યું છે. વૈજ્ઞાનિકો, લેખકો, દાર્શનિકો એમણે જે સર્જન કર્યું હોય એને તમારા-મારા જેવા જિજ્ઞાસુઓ વાંચે છે, જાણે છે, શીખે છે, મનોમંથન કરે છે; અને એ મહાન વ્યક્તિઓનું જ્ઞાનરૂપી અનુભવામૃત લઈને એમની અધૂરી જર્નીથી શરૂઆત કરે છે. આ વારસો પુસ્તકમાં જળવાયો હોય તો ફરીથી એકડો ઘૂંટવો ના પડે. એટલે પુસ્તકો એ હજારો વર્ષો પુરાણું જ્ઞાન વહાવતો અને વહેંચતો મીઠો દરિયો છે… Books are the ocean of knowledge.

*****

પુસ્તક વાંચવા અહીં ક્લીક કરો…